short story

Short story

એક મિનીટ લાગશે અચૂક વાંચજો પતિ – પત્નીના સંબંધનો નજરીયો બદલાય જશે .ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના….
(‘ગુજરાત દર્પણ’માંથી સાભાર)

લોકો કહે છે કે, એકલા આવ્યા અને એકલા જવાનું ! શું લઇ આવ્યા અને શું લઇ જવાનું !

આ વાત તદ્દન સાચી છે, પરંતુ તેના કરતા પણ વધારે સાચી અને વધારે મહત્વની વાત એ છે કે એકલા આવ્યા – એકલા જવાનું એ ખરું, પરંતુ એકલા જીવવાનું શક્ય છે? જીવનસાથી વિના જીવન પસાર કરવું કેટલું દુષ્કર અને મુશ્કેલ છે, તે મેં અનુભવ્યું છે અને અનુભવી રહ્યો છું.

જનાર વ્યક્તિ આમ તો કશું લઇ જતી નથી અને છતાં આપણુ સર્વસ્વ લઇ જાય છે.

મારી પત્નીની ગંભીર માંદગી વખતે જયારે તબીબોએ જણાવ્યું કે હવે તમારી પત્નીની જિંદગી ખૂબ જ મર્યાદિત છે, ત્યારે અમે બન્ને એકબીજાની ખૂબ જ નજીક આવી ગયા અને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં એક બની ગયા.

ત્યારે મારી પત્ની એક દિવસ મને કહે જો આપણે પહેલેથી જ આવી રીતે જીવ્યા હોત તો આ બત્રીસ વર્ષમાં બત્રીસ જિંદગી જેટલો આનંદ માણ્યો હોત !

તમને બધાને થશે કે ‘આ તમારી વ્યથાની કથા અમને જણાવવાનું શું કારણ’?

પરંતુ આ વ્યથા દ્વારા હું તમને બધાને એ જણાવવા માંગું છું કે જીવનસાથીની કદર કરતાં શીખો. તેની અવગણના કે અવહેલના કદી ના કરશો. જીવનસાથીમાંથી ‘જીવ’ નીકળી જાય પછી કેવળ ‘ન સાથી’ રહી જાય છે. પછી તો ન મિજબાની, ન મહેફિલ, ન મસ્તી. કશામાં જીવ લાગતો નથી. કેવળ એક ‘મ’ ની રાહ જોવાય છે અને તે ‘મ’ એટલે મરણ. ઘરમાં બેઠા હોઈએ ત્યારે દીવાલ ઉપર લટકતી જીવનસાથીની તસ્વીર બોલતી નથી, પણ ભણકારા વાગે છે.

ઘડીકમાં તેના અવાજનો રણકો કાનમાં પાયલની જેમ સંભળાય છે, યાદોનો ગડગડાટ દિલમાં ગુંજી ઉઠે છે, ખાલી મકાનમાં પડઘા પડતા હોય તેમ તેના પડઘા મનમાં પડે છે. પણ આ બધું થોડી જ વારમાં ભ્રમ સાબિત થાય છે. ખાવાના મેજ ઉપર તેની ભાવતી વાનગી જોઇને આંખની પાંપણ આપોઆપ ભીની થઇ જાય છે. બહાર નીકળતા એની એ જ દુનિયા અને એના એ જ લોકો અજાણ્યા લાગવા માંડે છે.

જીવનસાથી સાથે વિતાવેલ સમય અને સ્મરણોનું ગૂંચળું ગળામાં ડૂમો બનીને બાઝી જાય છે. આંખના આંસુ પણ થિજી જાય છે. કોઈ લુછવાવાળું ન હોય ત્યારે આંસુ પણ બિચારું અને નોધારું થઇ જતું હોય છે.

માટે જ કહું છું કે આજથી અને અત્યારથી જ તમારા જીવનસાથીની કદર કરતા શીખો. કોઈ અમંગલ વિચાર કરવાની વાત નથી, પણ ક્યારેય વિચાર કર્યો છે કે જીવનસાથી વિદાય લે તો શું દશા થાય?

વિચાર ન કર્યો હોય તો આજે જ કરજો અને આજથી તમારી પ્રિય વ્યક્તિને અસીમ પ્રેમ કરવાનું શરુ કરી દેજો. તેને પકડી રાખજો, તેને જકડી રાખજો. તેને બેસુમાર લાગણીઓ અને સ્નેહવર્ષાથી નવડાવી દેજો. અને સામે તમારી પ્રિય વ્યક્તિના પ્રેમને ઝીલવા અને તેનું સન્માન કરવા તત્પર રહેજો.

તમારી પ્રિય વ્યક્તિને દિલથી જણાવો કે તું છે તો આ બધું છે. કારણ કે તું છે તો હું છું. તું ન હોય તો હું સાવ એકાકી. તારા વગર આખું જગ સૂનું. તમારી પ્રિય વ્યક્તિને દૂર ન જવા દેજો કે તમે દૂર ના થશો. જે આજે પ્રેમ નથી કરી શકતો તે પાછળથી પસ્તાય છે. ચાલી ગયેલી આજ ક્યારેય પાછી નથી આવતી, અને ચાલી ગયેલી વ્યક્તિ પણ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *